8th Pay Commission: સરકારી કર્મચારીઓની આતુરતાનો ટૂંક સમયમાં અંત આવી શકે છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂર્વે કેન્દ્રની મોદી સરકાર દ્વારા 8માં પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી હતી. જે બાદ દેશભરના 50 લાખ જેટલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ જેટલા પેન્શર્સ કેટલો વધારો થશે? તેની રાહ જોઈ રહ્યા હતા. જો કે હવે આવા કર્મચારીઓને જલ્દી સારા સમાચાર મળી શકે છે.

હકીકતમાં કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પંચના અધ્યક્ષ સહિતના સભ્યોની જાહેરાત કરવાની સાથે જ તેની કામકાજની રૂપરેખા અને ટર્મ-કન્ડિશન પણ નક્કી કરશે. આમ પણ નવા પગારપંચની રચના એપ્રિલ મહિનાના અંત સુધીમાં થવાની જ હતી. જો કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને પછી સેનાના ‘ઓપરેશન સિંદુર’ને પગલે સરકારને બીજી પ્રાયોરિટી પર ધ્યાન આપવું પડ્યું હતુ.

મોટાભાગે નવું પગાર પંચ 12 માસમાં રિપોર્ટ આપે છે, જેના 3 થી 4 માસમાં કેન્દ્ર સરકાર નિર્ણય લેતી હોય છે. અગાઉ 1 જાન્યુઆરી, 2016ના રોજ સાતમા પગાર પંચનો અમલ કરવામાં આવ્યો હતો, જે 10 વર્ષ માટે હતો. આ રીતે જોઈએ તો, 31 ડિસેમ્બર, 2025ના રોજ સાતમા પગાર પંચની મુદ્દત પુરી થાય છે. આથી આવતા વર્ષના મધ્ય બાદ નવા પગારપંચની ભલામણો પર નિર્ણય લેવાય તેવી શક્યતા છે. જો આમ થાય, તો 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ અમલમાં આવી શકે છે.

અત્યારે દેશમાં 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનર્સ સાતમા પગાર પંચનો લાભ લઈ રહ્યા છે. સાતમા પગાર પંચમાં બેઝીક પગાર 18 હજાર છે. જે હાલની મોંઘવારીના ભથ્થા સહિત ઉમેરીએ તો 80 હજાર સુધી પહોંચી શકે તેમ છે. જો કે સરકાર ફિટમેન્ટ ફેક્ટર કેટલું લાગું કરે, તેના પર જ બધો આધાર છે. એક્સપર્ટના મતે ફિટમેન્ટ ફેક્ટર 1.92 થી 2.86 સુધીનું હોઈ શકે છે.